Tuesday, February 1, 2011

રે પંખીડા…-કલાપી

(મંદાક્રાંતા)
રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો ?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો' દી' તમ શરીરને  કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ  કૈં  ફેંકવા  માળીને  મેં
ખુલ્લું  મારું  ઉપવન  સદા  પંખીડાં સર્વને  છે

રે ! રે ! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે  ક્રૂર કો' હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે ! રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી

-કલાપી

No comments:

Post a Comment