Monday, January 31, 2011

ચિત્ત તું શીદને ચિંતા ધરે….-દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે..

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું  આવરણ  કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

તું  અંતર  ઉદ્વેગ  ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો  જંત્ર  બજાવે  જંત્રી  તેવો  સ્વર નીસરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

થનાર વસ્તુ  થયા કરે, જ્યમ  શ્રીફળ પાણી  ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

જેનું  જેટલું  જે  જ્યમ  કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઇ તું મરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપ તણું  અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ  ભરોસો  રાધાવરનો, દયા  શીદને  ડરે
 કૃષ્ણને કરવું હોય તે કરે..

-દયારામ

No comments:

Post a Comment